Thursday, September 4, 2008

નવાપુરના રસ્તે...

હલ્લો દોસ્તો,
ડાંગના ચોમાસાના આરંભની તસ્વીરો તમે જોઇ. હવે તો ચોમાસુ એના મધ્યભાગમાં છે ત્યારે ડાંગમાં અત્યાર સુધીમાં 60-70 ઇંચ વરસાદ પડી ગયો છે. બધાં જળાશયો બરાબરના ભરાઇ ચૂક્યાં છે. જો કે, સરેરાશની રીતે જૂઓ તો હજી અડધો વરસાદ પણ નથી પડ્યો. પણ મેં લગાતાર 18 દિવસ સુધી ચાલેલો વરસાદ અહીં જોયો. આખો દિવસ બસ વરસ્યા કરે..! ઘડીમાં અતિશય ધોધરુપે તો ઘડીમાં ઝરમરઝરમર થતો. આહવાના મકાનો વાદળોમાં ગરકાવ છે. ખીણો ઊપર નજર નાંખીએ તો કશુ દેખાય નહીં કેમ કે, વાદળાઓથી આખી ખીણ ભરાઇ ગઇ હોય ! વિનેશ અંતાણીના નિબંધો યાદ આવી ગયા.! એમણે શીર્ષક આપ્યું છે ધૂન્ધભરી ખીણ.. અહીં અત્યારે સતત એ માણવા મળે છે.
આખુંય જંગલ અત્યારે હરિયાળું બની ગયું છે. પર્વતોમાંથી નિતરે છે પાણી, ઝરણાંઓ રુપે ખળ ખળ વહેતું નદીઓમાં મળે છે. નદીઓ પૂર યૌવનમાં વહી રહી છે. સપાટ ભૂમિ પર જો આટલો વરસાદ હોય તો ઘરની બહાર પગ મુકવો ય ભારે થઇ પડે પણ અહીં એવું નથી. અહીં તો રુટિન મુજબ બધાં વ્યવહારો ચાલું છે. કેમકે, સૌ ટેવાયેલા છે ભારે વરસાદથી.. વળી પાણી આ ઢોળાવોમાં ટકતું નથી. વહી જાય છે તરત જ એના પિયર એવા સમુદ્ર તરફ..!
ગયા સપ્તાહમાં ભારે વરસાદ ચાલુ હતો ત્યારે નક્કી કર્યું કે, અત્યારે ગીરા ધોધ જોવા જઇએ..
આ નિર્ણય અમને જીવનભર યાદ રહી જશે..! ગીરાધોધનો વિશાળ પટ પાણીના કેવા મોટા ફ્લો સાથે વહેતો હતો ને જે નાદ જન્મતો હતો એ અકલ્પનિય છે. એના વિશે વર્ણન કરવું અશક્ય છે એટલે તસ્વીરો જ એ કામ કરી શકેશે તેમ માનીને વધું કામ તસ્વીરોને જ સોંપું છું.
આખોય રસ્તો અદ્ ભુત એવું કમનિય રુપ ધરી બેઠો છે. અહીંના સ્થાનિક લોકો આ વરસાદમાં ખુશ છે, કેમકે હવે ભાત (ડાંગર)ની રોપણી થઇ શકશે. ઠેર ઠેર ઉલ્લાસ નજરે પડે છે. એવામાં નાગપંચમી અહીંનો વિશિષ્ટ તહેવાર અત્યારે ઉજવાઇ રહ્યો છે. નાગપંચમીના રોજ અહીંના ભોપાઓ દ્વારા નાગદેવતાને મરઘીનું ઇંડું ફોડીને પીવડાવવાની વિધિ કરે છે. નવા નવા બનનાર ભોપા(ભૂવા)ઓને દિક્ષિત કરવાની વિધિઓ ચાલે છે. છેક દિવાળી સુધી ચાલનારી વિધિઓની આ શરુઆતનો દિવસ. સદીઓથી ચાલી આવતી આ પંરંપરા હજી પણ એટલી જ શ્રદ્ધાથી ચાલે છે..!
અહીંના મુખ્ય દેવતાઓ છે પર્વતદેવ, કણસ્યાદેવી(કાનેસરી દેવી-કૂંપળ),પાનદેવ, નાગદેવ,વાઘદેવ અને હનુમાન તથા મહાદેવ. જંગલોમાં, પર્વતો ઉપર એમના સ્થાનકો છે. સૌરાષ્ટ્રમાં પાળિયાઓ ઊભા કરાય છે તે પ્રકારે પથ્થરોને કોતરી, રંગીને આ દેવોના સ્થાનકો ઊભા કરવામાં આવ્યાં છે. પરંપરાગત ભારતીય મંદિરો તો હવે ક્યાંક ક્યાંક મોટા ગામ કે બે જે શહેર કહી શકાય ત્યાં જ છે બાકી, વનવાસીઓના દેવો ખરા અર્થમાં વનવાસી છે..! અને વનજીવન સાથે સંકળાયેલી કથાઓનો આગવો વૈભવ ધરાવે છે આ દંડકારણ્ય.

No comments: